આસનસોલમાં આગચંપી
બીરભૂમના નાનૂરમાં TMC કાર્યકર અબીર શેખની ધારદાર હથિયારથી હત્યા કરવામાં આવી છે, જેનો આરોપ ભાજપ પર છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોલકાતા, તા.૬ મે ૨૦૨૬ — પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ રાજ્યમાં હિંસાનો માહોલ ગરમાયો છે. ભાજપની જીત અને તૃણમૂલ કોંગ્રેસના પરાજય બાદ કોલકાતાથી લઈને આસનસોલ સુધી આગજની અને તોડફોડની ઘટનાઓ સામે આવી રહી છે.પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામો બાદ ફાટી નીકળેલી હિંસામાં આસનસોલ ઉત્તર વિધાનસભા વિસ્તારમાં તણાવ પ્રવર્તી રહ્યો છે. અહીં મોડી રાત્રે તૃણમૂલ કોંગ્રેસના વોર્ડ નંબર ૫૩ ના કાઉન્સિલર મૌસમી બોસની ઓફિસમાં અજ્ઞાત તત્વોએ આગ લગાવી દીધી હતી. આગ એટલી વિકરાળ હતી કે ઓફિસ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી અને બાજુની દુકાનોને પણ નુકસાન થયું હતું. ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સ્થાનિક ભાજપના ધારાસભ્ય કૃષ્ણેન્દુ મુખર્જીએ આ ઘટનાની નિંદા કરતા જણાવ્યું હતું કે, હિંસા કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં અને ફૂટેજ દ્વારા ગુનેગારોની તપાસ કરવામાં આવશે.મધ્ય કોલકાતાના વ્યસ્ત એવા ન્યૂ માર્કેટ (હોગ માર્કેટ) વિસ્તારમાં મંગળવારે રાત્રે ભારે અફરાતફરી મચી ગઈ હતી. આરોપ છે કે બુલડોઝર સાથે આવેલા એક જૂથે TMCની યુનિયન ઓફિસને નિશાન બનાવી તેને જમીનદોસ્ત કરી દીધી હતી. આ ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓમાં ભારે દહેશત ફેલાઈ ગઈ હતી અને લોકોએ પોતાની દુકાનોના શટર પાડીને ભાગવું પડ્યું હતું. TMC સાંસદ મહુઆ મોઈત્રાએ આ ઘટનાનો વીડિયો શેર કરતા કટાક્ષમાં લખ્યું હતું કે, “બંગાળીઓ પરિવર્તનનો આનંદ માણી રહ્યા છે. TMC ના વરિષ્ઠ નેતા ડેરેક ઓ’બ્રાયને સોશિયલ મીડિયા પર આક્ષેપ કર્યો હતો કે આ તોડફોડ પોલીસ અને કેન્દ્રીય દળોની હાજરીમાં કરવામાં આવી રહી છે. તેમણે આને ભાજપની ‘બુલડોઝર રાજનીતિ’ ગણાવી હતી. કલ્યાણ બેનર્જીએ પણ જગતબલ્લભપુરમાં પાર્ટી ઓફિસ સળગાવવાની ઘટનાને ગંભીર ગણાવતા કહ્યું હતું કે બંગાળની જનતા અત્યારે અરાજકતાનો સામનો કરવા મજબૂર છે. બીજી તરફ, ભાજપે આ હિંસામાં તેમનો હાથ હોવાનો ઇનકાર કર્યો છે અને આને ટીએમસીના આંતરિક જૂથવાદનું પરિણામ ગણાવ્યું છે.રાજ્યમાં ચાલી રહેલી આ હિંસાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. પોલીસ રિપોર્ટ અનુસાર, બીરભૂમના નાનૂરમાં TMC કાર્યકર અબીર શેખની ધારદાર હથિયારથી હત્યા કરવામાં આવી છે, જેનો આરોપ ભાજપ પર છે. જ્યારે ન્યૂ ટાઉન વિસ્તારમાં વિજય સરઘસ દરમિયાન થયેલી મારામારીમાં ભાજપના કાર્યકર મધુ મંડળનું મોત નીપજ્યું છે. આ ગંભીર સ્થિતિને જોતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવવા સૂચના આપી છે. મુખ્ય સચિવ અને DGP ને આદેશ અપાયો છે કે હિંસા ભડકાવનાર ગમે તે હોય, તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે.બંગાળ ભાજપના પ્રમુખ સમિક ભટ્ટાચાર્યે હિંસાની ઘટનાઓ પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, “અમે પ્રશાસન સાથે વાત કરી છે અને સંગઠન સ્તરે પણ હિંસા રોકવા પ્રયત્નશીલ છીએ. જે હિંસા થઈ રહી છે તે અમારા લોકો નથી કરી રહ્યા. TMC હવે સત્તા ગુમાવી હોવાથી અમારા પર ખોટા આરોપો લગાવી રહી છે.” તેમણે ઉમેર્યું કે ટીએમસીના જ ઉમેદવારો હવે સુરક્ષા માટે ભાજપના નેતાઓને ફોન કરી રહ્યા છે કારણ કે તેમના પોતાના જ લોકો તેમને પીટવા માટે આવી રહ્યા છે.