દેશમાં એસિડ એટેકની ઘટનામાં વધારો નોંધાયો
ગુનો સાબિત કરવાનો ભાર પીડિત પર રાખવાના બદલે આરોપીએ પોતાની નિર્દોષતા સાબિત કરવી જોઈએ
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૫ મે ૨૦૨૬ — એસિડ એટેક્સની સંખ્યાાં થઈ રહેલા વધારા સામે ચિંતા વ્યક્ત કરતાં સુપ્રીમ કોર્ટે ગુનેગારો માટે વધુ આકરી સજા રાખવા ભલામણ કરી હતી. આ સાથે પોતે ગુનેગાર નથી તેવું સાબિત કરવાની જવાબદારી આરોપીઓના માથે રાખવાનું સૂચન કર્યું હતું. ક્રિમિનલ જ્યુરિસપ્રુડન્સની અવધારણા અંતર્ગત, ગુનો સાબિત ન થાય ત્યાં સુધી આરોપીને નિર્દોષ માનવામાં આવે છે અને ગુનો સાબિત કરવાની જવાબદારી પ્રોસીક્યુશનની હોય છે. સર્વોચ્ચ અદાલતે કાયદામાં ઉચિત સુધારો કરવા અને એસિડ પીવાની ફરજ પડાઈ હોય અથવા એસિડ એટેકમાં આંતરિક ઈજાનો ભોગ બન્યા હોય તેવા પીડિતોને રાઈટ્સ ઓફ પર્સન્સ વિથ ડિસએબિલિટીસ એક્ટ, ૨૦૧૬ અંતર્ગત આવરી લેવા કેન્દ્ર સરકારને સૂચન કર્યું હતું. ચીફ જસ્ટિસ સૂર્ય કાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે ઠરાવ્યું હતું કે, ૨૦૧૬માં એક્ટનો અમલ થયો ત્યારથી આ પ્રકારની સ્પષ્ટતા કરતી જોગવાઈનો અમલ શરૂ કરવાની જરૂરિયાત હતી. તેથી મંત્રાલય આ મામલે ઔપચારિક નોંધ લઈ સુધારો કરે તે આવકાર્ય છે. એસિડ એટેક સરવાઈવર શાહિન મલિક દ્વારા જાહેર હિતની અરજી કરવામાં આવી હતી, જેમાં પીડિતોને જનકલ્યાણકારી યોજનાઓને લાભ મળી શકે તે માટે વિકલાંગની શ્રેણીમાં રાખવા માટે દાદ માગવામાં આવી હતી. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે નોંધ્યુ હતું કે, એસિડ એટેકના ગુનેગારોને અપાતી સજા તેમને રોકવા માટે પૂરતી નથી. કેસની સંખ્યા વધી રહી હોવાથી સજાને પણ વધારે આકરી બનાવવી જોઈએ. ૨૦૧૩ના વર્ષ પછી એસિડ એટેક્સમાં થઈ રહેલો વધારો અત્યંત ચિંતાજનક છે અને સરકારે આ મામલે યોગ્ય વિચારણા કરી ગનેગારોને વધુ આકરી સજા અપાવવી જોઈએ.