29 C
Ahmedabad
May 11, 2026
National

ઓપરેશન સિંદૂર દરમિયાન અમે લાંબી લડાઈ માટે તૈયાર હતા

રાજનાથ સિંહે પાકિસ્તાનને આતંકવાદનું કેન્દ્ર ગણાવ્યું

ઓપરેશન રોકવાનો નિર્ણય ભારતની ક્ષમતા ન હોવાને કારણે નહીં, પણ વ્યૂહાત્મક રીતે લેવામાં આવ્યો હતો : કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૩૦ એપ્રિલ ૨૦૨૬ — કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે (૩૦ એપ્રિલ) ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરીને પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે, નવી દિલ્હીએ પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પો નષ્ટ કરવા માટે હાથ ધરાયેલું ઓપરેશન સિંદૂર સ્વેચ્છાએ અને પોતાની શરતો પર રોકી દીધું હતું. તેમણે કહ્યું કે, જો જરૂર પડી હોત તો ભારત લાંબી લડાઈ માટે સંપૂર્ણ રીતે તૈયાર હતું. એએનઆઈ નેશનલ સિક્યોરિટી સમિટ ૨.૦માં સંબોધન કરતા રાજનાથ સિંહે કહ્યું કે, ઓપરેશન રોકવાનો નિર્ણય ભારતની ક્ષમતા ન હોવાને કારણે નહીં, પણ વ્યૂહાત્મક રીતે લેવામાં આવ્યો હતો. તેમણે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય આતંકવાદનું કેન્દ્ર ગણાવ્યું અને આતંકવાદના વિચારધારા અને રાજકીય આધારને જડમૂળથી નાબૂદ કરવાની જરૂરિયાત પર ભાર પણ મૂક્યો હતો.

તેમણે કહ્યું કે, “ઓપરેશન સિંદૂર આપણા ત્રણેય સેનાની એકતાનું ઉત્તમ ઉદાહરણ છે. આર્મી, નેવી અને એરફોર્સ એકસાથે અને એક જ યોજના હેઠળ કામ કરી રહી હતી. ભારતની સૈન્ય શક્તિ હવે અલગ-અલગ નહીં, પણ સંયુક્ત અને વૈશ્વિક શક્તિ બની છે. એટલે જ અમે ઓપરેશન પણ પોતાની શરતો અને સમય પર શરૂ કર્યું અને પોતાની શરતો પર જ પૂરું કર્યું હતું.”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા તેમણે આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ પોલિસીની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું, “અમે સર્જિકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક અને ઓપરેશન સિંદૂર જેવા પગલાં આતંકવાદ સામે લીધા છે. આ આપણા આતંકવાદ વિરોધી દૃઢ નિર્ધારનો પુરાવો છે. આતંકવાદ માનવતા પર કલંક છે. તેની સામેની લડાઈ માત્ર સુરક્ષા માટે નહીં, પણ માનવ મૂલ્યોની રક્ષા માટે છે.”

રાજનાથ સિંહે એ પણ ખુલાસો કર્યો કે ઓપરેશન દરમિયાન ભારતને ન્યુક્લિયર હુમલાની ધમકી મળી હતી, પણ ભારત ડર્યું નહીં. તેમણે કહ્યું કે, “અમને ન્યુક્લિયર હુમલાની ધમકી આપવામાં આવી હતી, પણ અમે એ ધમકીથી ડર્યા નહીં. ભારત હંમેશા પોતાના રાષ્ટ્રીય હિત માટે પગલાં લે છે. પાકિસ્તાન જેવા દેશોએ હંમેશા આતંકવાદને આશ્રય આપ્યો છે. એટલે જ ભારત અને પાકિસ્તાન બંનેને એકસાથે આઝાદી મળી હોવ છતાં પણ આજે ભારતIT (Information Technology) માટે ઓળખાય છે અને પાકિસ્તાન IT ‘International Terrorism’ માટે ઓળખાય છે.”

પહલગામ આતંકી હુમલામાં ૨૬ નિર્દોષ લોકોના મોત થયા હતા. જે પછી ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં ૯ આતંકી ઠેકાણાં પર ચોક્કસ હુમલા કર્યા હતા. આ ઓપરેશનમાં ૧૦૦થી વધુ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા, જેમાં જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ૧૦ પરિવારજનો અને ૪ નજીકના સાથીઓનો પણ સમાવેશ થાય છે. ઓપરેશન દરમિયાન પાકિસ્તાનને ભારે નુકસાન થતાં ત્યાંના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO)એ ભારતીય DGMOને ફોન કરીને ૧૦ મેના રોજ સીઝફાયર માટે વિનંતી કરી હતી.

Related posts

૧૮ અત્યાધુનિક હથિયારો સાથે ૯ શખ્સોની ધરપકડ

Police-Story

EVMમાં ભાજપના બટન પર લગાવી ટેપ, બંગાળમાં ચૂંટણી વચ્ચે TMC પર ધાંધલીનો આરોપ

Police-Story

કુમાર વિશ્વાસ, સત્યેન્દ્ર જૈન અને AAP નેતાઓની મુશ્કેલી વધી !

Police-Story

Leave a Comment