છેલ્લા ચાર વર્ષથી ભાવ વધાર્યા નથી
આવનારા સમયમાં ઇંધણના ભાવમાં વધારો થઈ શકે છે જોકે, તેમણે આ પણ કહ્યું કે ભાવવધારો અને ચૂંટણી વચ્ચે કોઈ સંબંધ નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા.૧૨ મે ૨૦૨૬ — ૧૨ મેના રોજ યોજાયેલી CII વાર્ષિક વ્યાપાર સમિટ ૨૦૨૬ દરમિયાન હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે દેશમાં ક્યાંય પણ પેટ્રોલ, ડીઝલ કે LPG અછત નથી. સરકારે LPG દૈનિક ઉત્પાદન લગભગ ૩૫ હજાર ટનથી વધારીને ૫૫થી ૫૬ હજાર ટન સુધી પહોંચાડ્યું છે.
તેમણે કહ્યું કે ભારત પાસે હાલમાં લગભગ ૬૦ દિવસ જેટલું ક્રૂડ ઓઇલ અને LNG સ્ટોક ઉપલબ્ધ છે, જ્યારે LPG ૪૫ દિવસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.
પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું કે સરકારે છેલ્લા ચાર વર્ષથી પેટ્રોલ અને ડીઝલ ના ભાવમાં વધારો કર્યો નથી. જોકે, તેમણે એ પણ સ્વીકાર્યું કે ભવિષ્યમાં ભાવ નહીં વધે એવી કોઈ ખાતરી નથી.
હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ હાલમાં દરરોજ અંદાજે ૧,૦૦૦ કરોડનું નુકસાન ભોગવી રહી છે. કંપનીઓ પર કુલ ૧.૯૮ લાખ કરોડની અંડર-રિકવરી હોવાનું પણ તેમણે જણાવ્યું.
પેટ્રોલિયમ મંત્રી એ ચેતવણી આપી કે જો પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો ભારત પર નાણાકીય દબાણ વધી શકે છે. આવી સ્થિતિમાં સરકાર અને ઓઇલ કંપનીઓને કઠિન નિર્ણયો લેવા પડી શકે છે.
તેમણે કહ્યું કે સરકાર ગ્રાહકોને મોંઘવારીથી બચાવવા માટે જવાબદારીપૂર્વક પરિસ્થિતિ સંભાળી રહી છે અને દેશભરમાં ગેસ પુરવઠો સામાન્ય રીતે ચાલુ છે.