29 C
Ahmedabad
May 11, 2026
National

ચૂંટણી પછી પેટ્રોલ ડીઝલના ભાવમા વધારો થાય તેવી શક્યતા

મિડલ ઈસ્ટમાં તણાવ, હોર્મુઝનું સંકટ યથાવત

સરકારે બોજો ટાળવા માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૮ થી ૧૫ રૂપિયા પ્રતિ લીટર વધારો કરવો પડે તેવી સ્થિતિ

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૩ એપ્રિલ ૨૦૨૬ — મિડલ ઈસ્ટમાં હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. ડોનાલ્ડ ટ્રમ્પે ભલે યુદ્ધવિરામ લંબાવ્યો પરંતુ ઈરાને આ નિર્ણય ફગાવી દીધેલો છે. જેને પગલે જંગનું જોખમ યથાવત છે. એમાં પણ ઈરાન ધમકીઓ પર ધમકી આપી રહ્યું છે. આ બધા વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં પણ ભડકો જોવા મળી રહ્યો છે અને એક તબક્કે ક્રૂડ ઓઈલ ઉછળીને ૧૦૦ ડોલર પાર કરી ગયું. ભારતમાં પણ ટૂંક સમયમાં ભાવમાં વધારો જોવા મળી શકે છે.

પશ્ચિમ એશિયામાં જે સ્થિતિ જોવા મળી રહી છે તેને પગલે ક્રૂડ ઓઈલ સતત ઉછાળા મારી રહ્યું છે. કારણકે જંગનો ખતરો હજું ટળ્યો નથી. ભારતમાં ક્રૂડ ઓઈલ મુખ્યત્વે આયાત થતું રહે છે. જેને પગલે ભાવ વધારો તોળાઈ રહ્યો છે.

એક્સપર્ટ્‌સ જણાવે છે કે જો આ વર્ષે ક્રૂડ ઓઈલનો સરેરાશ ભાવ ૯૫ ડોલર પ્રતિ બેરલ રહે તો પણ સરકારે બોજો ટાળવા માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૮ રૂપિયાથી લઈને ૧૫ રૂપિયા પ્રતિ લીટર વધારો કરવો પડે તેવી સ્થિતિ થાય. જો કે ક્રૂડ ઓઈલના ભાવ ૮૫થી ૯૦ ડોલર વચ્ચે રહે છે. છતાં પ્રતિ લિટર ૩ રૂપિયાથી માંડીને ૭ રૂપિયાના વધારાની શક્યતા સેવાઈ રહી છે.

આજે ગુરુવારે ભારતીય બજારોમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકાના સિગ્નલ વિદેશના બજારોમાંથી મળી રહ્યા છે. અમેરિકાથી લઈને જાપાન સુધી દુનિયાભરના બજારોમાં હડકંપ છે. અમેરિકી સ્ટોક માર્કેટ બુધવારે રેડ ઝોનમાં બંધ થયા જ્યારે એશિયાઈ બજારોમાં પણ મોટાભાગે કડાકાનો માહોલ છે. ઈરાન અને અમેરિકા વચ્ચે ભલે યુદ્ધવિરામ લંબાયું હોય પરંતુ હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે હજુ પણ તણાવ યથાવત છે. ઈરાન હોર્મુઝ ખોલવા માટે તૈયાર નથી. જ્યારે અમેરિકા પણ નાકાબંધી પર મક્કમ છે. જેના પગલે ક્રૂડ ઓઈલના ભાવમાં ફરીથી ઉછાળો છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ ૧૦૦ ડોલર પાર કરી ગયું છે. જેના કારણે શેર બજારો દબાણમાં છે.

હાલ દેશમાં પાંચ રાજ્યોમાં ચૂંટણીનો માહોલ છે. તમિલનાડુમાં એક જ તબક્કામાં તમામ સીટો જ્યારે પશ્ચિમ બંગાળમાં પહેલા તબક્કાનું મતદાન આજે છે. પુડુચેરી, અસમ અને કેરળમાં મતદાન હાલમાં જ પૂરું થયું છે અને પરિણામની રાહ જોવાઈ રહી છે. સરકારે હાલ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા છે. ઓઈલ કંપનીઓ નુકસાન ભોગવી રહી છે પરંતુ એવું મનાઈ રહ્યું છે કે વિધાનસભા ચૂંટણીઓ પૂરી થયા બાદ ઈંધણના ભાવમાં વધારો થઈ શકે છે. જો આવું થાય તો તેની અસર ફુગાવા પર પડે અને પરિવહન ખર્ચમાં પણ વધારો થાય.

Related posts

વિકાસના નામે વિનાશ અને આદિવાસીઓ સામે મોટું કૌભાંડ

Police-Story

૫૦ ધારાસભ્યો પણ આમ આદમી પાર્ટી છોડી શકે

Police-Story

સાંસદ સંદીપ પાઠક સામે પંજાબમાં બે એફઆઈઆર નોંધવામાં આવી

Police-Story

Leave a Comment